રવિવાર, તા. ૫-૫-૨૦૨૪ થી ગુરુવાર, તા. ૯-૫-૨૦૨૪
‘‘ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકીક હતું. તેમની વાણી પણ એવી અલૌકિક હતી કે અંદર આત્માની રૂચિ જગાડે. તેમની વાણીના ઊંડાણ અને રણકાર કંઇક જુદા જ હતાં, સાંભળતા અપૂર્વતા લાગે ને જડ-ચૈતન્ય જુદા છે.’’ તેવો ભાસ થઇ જાય. આવી અનુભવયુક્ત જોરદાર પ્રબળ વાણી ! શુધ્ધ પરિણતિની ને શુધ્ધ જ્ઞાયક આત્માની લગની લગાડે એવી મંગળમય વાણી ગુરુદેવની હતી.
- પૂજ્ય બહેનશ્રી ચંપાબેન‘‘સમયસર સર્વોત્તમ શાસ્ત્ર છે’’ – એમ ગુરુદેવ શ્રી વારંવાર કહેતા. સમયસારની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જતો. સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે – એમ તેઓશ્રી કહેતા, ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં બધાં શાસ્ત્રો પર તેમને અપાર પ્રેમ હતો. ‘‘ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ’’ – એમ તેઓ ઘણીવાર ભક્તિભીના અંતરથી કહેતા.
- પૂજ્ય બહેનશ્રી ચંપાબેનપરમ કૃપામૂર્તિ શ્રી કહાન ગુરુદેવ પ્રત્યે ઉપકૃત હૃદયભીની ગુરુ ભક્તિ સહ નિવેદન કે અકારણ કરૂણાવંત, રત્ન ચિંતામણિ સમ, આપણા મનુષ્યભાવને સાર્થક કરનાર, આપણાંજીવન શિલ્પી, પરમતારણહાર, શ્રી વીર-કુંદ-અમૃત પ્રણીત મુક્તિમાર્ગપ્રકાશક, સાતિશય ગુણધારી, પૂણ્ય અને પવિત્રતાની અજોડ પ્રતિમા, શાસનનાયક ભગવાનશ્રી મહાવીરની દિવ્યધ્વનિમાંથી અવતરેલા,શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યાદિ પ્રણીત ‘સમયસારાદિ પરમાગમો’ ના સેવનથી, સાક્ષાત શ્રી સીમંધર સ્વામીના દર્શન-બોધ પ્રાપ્ત કરેલ તેવા પરમોપકારી પરમ પૂજ્ય સદ્ ગુરુદેવશ્રી કાનજીસ્વામી કે જેમની અધ્યાત્મ અમૃતરસભરી સાતિશય વાણી તથા તેઓશ્રીના અદ્દભૂત પવિત્ર પાવન પ્રભાવના યોગથી વર્તમાનમાં જ જેમની ભાવિતીર્થકરત્વની ઝાંખી પ્રાપ્ત થતી હતી, તેવા વર્તમાન પંચમકાળે મોક્ષમાર્ગના બીજરૂપ સમ્યક્દર્શન તથા તેના આલંબનભૂત ત્રિકાળ શુધ્ધ એક જ્ઞાયક ભાવને સર્વ જીવોનાં અંતરંગમાં ગુંજતો કરનાર, આ યુગના મહાપુરુષ કહાનગુરુદેવનો મહામંગલકારી ૧૩૫મો જન્મ મહોત્સવ પૂજ્યગુરુદેવ શ્રી કાનજીસ્વામી તથા પૂજ્ય બહેનશ્રીચંપાબેનની પવિત્ર સાધનાભૂમિ સોનગઢ (સુવર્ણપુરી) મધ્યે અત્યંત ભક્તિભાવથી ઉજવવાનું સૌભાગ્ય, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢની અનુગ્રહભીની અનુમતિથી –અમારા શ્રી વર્ધમાન– સુરૈન્દ્ર-લીંબડી-જોરાવરનગર દિગંબર જૈન સંયુક્ત સંઘને સંપ્રાપ્ત થયેલ છે.
સમ્યક્ રત્નધારિણી ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની ગુરુભક્તિની મંગલ પ્રેરણાથી તથા જેમણે પોતાના નિર્મળ સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મરણ દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીના ભવાંતરો જાણ્યા છે. દેવ-શાસ્ત્ર-ગુરુના શરણે રહી, પૂજ્ય કહાનગુરુના બોલ માથે ચઢાવી બાળવયે સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર, જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેન અમારા પ્રેરણામૂર્તિ છે.આ પ્રસંગે પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલશાહ દ્વારા શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ રચિત પંચ પરમાગમોનો અનુવાદ થયો, તે સત્ માર્ગના પ્રભાવનાનાંઉમદા કાર્યને યાદ કરીએ છીએ. આદરણીય શ્રી વજુભાઇ સાહેબની પ્રેરણા તેમજ આશિષથી અમોને પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મજયંતી મહોત્સવઊજવવાના કોડ જાગ્યાંછે.
પૂજ્ય ગુરુદેવશ્રીનો આ મંગળ જન્મ મહોત્સવ વિ.સં. ૨૦૮૦ ચૈત્ર વદ-૧ર, રવિવાર,તા. ૫-૫-૨૦૨૪ થી વૈશાખ સુદ-ર, ગુરુવાર તા. ૯-પ-૨૦૨૪ એમ પાંચ દિવસ પર્યંત ‘શ્રી સુવર્ણપુરી તીર્થના જિનાયતનમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવંતોની પૂજા’, સ્વાનુભૂતિ-મહિમા પ્રધાન અધ્યાત્મજ્ઞાનોપાસના, દેવગુરુ-ભક્તિ અને ‘ગુરુ જન્મ વધાઇ’ આદિ ગુરુભક્તિના વિવિધ રોચક કાર્યક્રમ સહિત વિશેષ આનંદોત્સવરૂપે સુવર્ણપુરીમાં ઉજવવામાં આવશે. ગુરુ જન્મજયંતી મહોત્સવનો અમૂલ્ય લાભ લેવા આપ સૌને ગુરુભક્ત સાધર્મી મુમુક્ષુ મંડળને સપરિવાર સોનગઢ પધારવાનું અમારું – શ્રી વર્ધમાન-સુરેન્દ્ર-લીંબડી-જોરાવરનગર દિગંબરને જૈન સંયુક્ત સંઘનું અતિ ધર્મ વાત્સલ્યભીનું આમંત્રણ છે.
ગુરુ જન્મ મહોત્સવના આનંદકારી અવસરે પધારવાથી અધ્યાત્મ સાધના તીર્થના સર્વ જિનાલયોમાં બિરાજમાન વીતરાગી જિનબિંબોના, વિશાળકાય, પ્રતિષ્ઠિત બાહુબલી મુનિવર, જંબૂદ્વીપમાં બિરાજિત શાશ્વતા જિનબિંબોના, શ્રી પંચબાલયતિ ભગવંતોના, શ્રી કુંદ કુંદ પ્રવચન મંડપમાં નૂતન પ્રતિષ્ઠિત જિનભગવંતોના દર્શન-પૂજન-ભક્તિનો, પૂજ્ય ગુરુદેવશ્રીના કલ્યાણકારી સીડી પ્રવચનો, પૂજ્ય બહેનશ્રીની વીડીયો ધર્મ ચર્ચા, સમાગત વિદ્વાનોના શાસ્ત્ર પ્રવચનો, પૂજ્ય ભગવતીમાતાના માર્ગદર્શન તળે પ્રવચનમંડપ મધ્યે નિર્મિત ભવ્ય ‘શ્રી કહાનગુરુ પ્રભાવના દર્શન’નો, શિક્ષણ શિબિરનો, તથા ઘાટકોપર, વઢવાણ, મલાડ તથા બોરીવલીની દિ.જૈન ભજન મંડળી દ્વારા તેમજ અમારા શ્રીવર્ધમાન-સુરેન્દ્ર-લીંબડી-જોરાવરનગર દિગંબર જૈન સંયુક્ત સંઘના મુમુક્ષુ ભાઇ-બહેનો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમને માણવાનો અમૂલ્ય લાભ મળશે. – નિજ આત્મકલ્યાણના હેતુભૂત, ગુરુભક્તિના અનુપમ પ્રસંગે આપ સૌને સ્વાનુભૂતિતીર્થ-સોનગઢ અવશ્ય પધારવા અમારૂ અતિ આગ્રહભર્યું પુનઃપુનઃ નિમંત્રણ છે.
મુખ્ય સંયોજક : વઢવાણ નિવાસી માતુશ્રી જયાબેન જયંતીલાલ દોશી પરિવાર, હ. શ્રીમતી કેતકીબેન જયેશભાઇ દોશી તેમજ પૂર્ણીમાં સમર્થ દોશી (પાર્લા), તથા શ્રીમતી ઉપમાબેન અક્ષયભાઇ દોશી (વઢવાણ-પ્રમુખશ્રી), હ. શૈલી સમ્યક્ દોશી (પાર્લા).